આશાનો ચમત્કાર

ashano-chamtkar.jpg

રાધા અને ગોવિઁદનું લગ્નજીવન આમ તો સુપેરે આનંદ દાયક હતુ. નાની નીરા રાધાની આબેહુબ નકલ હતી અને મોટો દિકરો જગત ગોવિંદ જેવો.. અમેરિકાનું નાનુ ગામ જ્યાં રબરની ફેક્ટરીમાં એન્જીનીયર ગોવિંદ મોટો સાહેબ હતો..નીરા કોલેજ નાં પહેલા વર્ષ માં અને જગત માઈક્રો સોફ્ટની કંપનીમાં ઇન્ટર્ન તરીકે સ્વિકારાઈને સ્થિર થતો જતો હતો.

રાધા ડે કેર ચલાવતી હતી તે દિવસે થોડી ચિંતીત હતી કારણ કે તેની મેનેજર લ્યુસીએ રાજીનામુ આપ્યુ હતુ અને નજીકમાંજ પોતાની ડે કેર સંસ્થા શરુ કરી હતી અને ગોવિંદનો ફોન આવ્યો. સવારથી તે ચાલવા જાય છે પણ સ્થિર ઉભા નથી રહેવાતુ..
રાધાએ કહ્યું “હું આવી જઉં?”
ગોવિંદે કહ્યું “લંચમાં સમયસર આવી જજે!”
બપોરે જ્યારે રાધા ઘરે પહોંચી ત્યારે ગોવિંદ સુતો હતો અને રાધાએ ઝટપટ રોટલી બનાવી. શાક અને કઠોળ ફ્રીઝમાંથી કાઢી માઈક્રો વેવમાં ગરમ કરવા મુક્યુ. રસોડામાં થતા અવાજો સાંભળી ગોવિંદ ઉઠ્યો અને સહેજ ચાલવા ગયો અને જમીન ઉપર ફસડાઈ ગયો. રસોડામાંથી રાધા દોડતી આવી પણ ગોવિંદને હાથ ઉપર થોડુ વાગ્યુ અને લોહી નીકળતુ હતુ. રાધાને ગભરામણ તો થતી હતી અને એકદમ સ્વસ્થ ગોવિંદને વિના કારણ ચક્કર આવે અને ગબડે તેનુ કારણ રાધાને સમજાતુ નહોંતુ…
ગોવિંદ ને જરુરી પાટા પીંડિ કરી બંને સાથે જમવા બેઠા.
રાધા કહે “લ્યુસી જતા જતા આખા સ્ટાફ ને લઈ ગઈ હવે ૩૦ જેટલા છોકરા અને એક ઘરડી માર્થા રહી છે.”
ગોવિંદ કહે ” તારુ લાયસંસ જતુ રહ્યુ તેથી તો લ્યુસી રાજા થઇ ગઈ. ચાલ જવાદે હવે બહુ કામ કર્યુ હવે ડે કેર બંધ કરી દે.
“પણ..જગ્યાનુ ભાડુ..ચાર ઓરડા ભરીને રમકડા અને સાજ સજાવટ ફર્નીચર..કેટલુ બધુ રોકાણ ખાડે જશે”
” મને ખબર છે..આપણે પ્રયત્ન કર્યો..પણ આ પરવાના રાજમાં પરવાનો ગયો એટલે આવુ ન થાય તો નવાઇ લાગે..આ દેશમાં પ્રોફેશનલ રહે તે જ ચાલે. બુધ્ધિ લાગણીનાં ખૉળામાં કદી નથી બેસતી..! તારુ જે થવાનું હોય તે થાય પણ મને તક મળી તો તે મેળવવા તારા ભોગે પણ હું આગળ નીકળુ નીકળુને નીકળુ જ.”
” મારુ મન માનતુ નથી. લ્યુસીને ફરી મનાવી જોઉં..”
“તારે પ્રયત્ન કરવો હોય તો કર પણ પાણીનું નામ ભુ છે. એ જે રીતે આખી સંસ્થાને તેની સાથે લઇ ગઇ તે તો બતાવે છે કે વધુ સમય બગાડવાને બદલે સડ્યું ત્યાંથી કાપો અને ખોટ ઘટાડો વાળી વાત અપનાવો”
જમી રહ્યા પછી ડો રાણાને ફોન કરી બોલાવ્યા હતા તેમણે જોતાની સાથે કહ્યું-
“નજીકનાં મોટા ગામમાં લઇ જાવ કાન નો નવો રોગ છે. તાબડ તોડ માવજત થશે તો ઝડપથી પાછુ વળાશે.”

સમયની ગંભીરતા સમજી લ્યુસીને ફોન કરી બાકી રહેલા બાળકો અને ઘરડી માર્થાને લઇ લેવાનો નમ્ર આગ્રહ કર્યો..લ્યુસી બાળકોને લઇ જવા રાજી હતી પણ માર્થાને નહીં કારણ કે તેની ઉંમર વધુ હતી અને તેને લે તો કામ ઓછુ અને પગાર વધુ આપવો પડેને..?

માર્થાને ફોન કરી કહ્યું ગોવિંદની તબિયત બગડી છે અને તે ડે કેર બંધ કરશે..તુ સારી નોકરી શોધી લે અને રાધા જોઇ શકતી હતી કે બાસઠ વર્ષની માર્થાની આંખમાં આંસુ હતા..હવે આ ઉંમરે તેને નોકરી ક્યાં મળવાની હતી? કલાકનાં સાત ડોલરમાં તેનુ શું થશે? રાધાએ તેને દિલાસો આપતા કહ્યું લ્યુસીને વાત કરી છે તુ તેને મળી આવજે.. અત્યારે તો ગોવિંદને લઇ તેને જવુ પડશે..રાધા મનથી તો સમજતી હતી કે માર્થાને તે જવા દઇને પોતાને પણ તે નોકરીમાંથી કાઢી રહી હતી.હવે શુંનો પ્રશ્ન એને પણ નડતો હતો.

ડો જેક્શન ડો રાણાનાં ગુરુ હતા અને તેમનુ નિદાન પણ એજ આવ્યું વાઇરલ ઇંફેક્શન છે દવા લો આરામ કરો અને આ રોગ જતો રહે તેના સમયની રાહ જુઓ.. કેટલાક રોગ દવા વિના અઠવાડીયે મટે તો દવા સાથે સાત દિવસે..! દવા તમને થોડુ ઘેન આપશે પણ આશા રાખીયે કે સારુ થઇ જાય… શનીવારે નીરા અને જગત આવી ગયા..રાધાને સારુ લાગ્યુ પણ તે વિચારી શકતી નહોંતી કે ગોવિંદને આ અચાનક શું થઇ ગયુ?

અઠવાડીયાનાં મહીના થયા અને મહીનાઓ વિતતા વરસ થયું..હવે તો ગોવિંદની નોકરી પણ જશે જે એંસી ટકા ડીસેબીલીટીની આવકો આવતી હતી તે પણ જશે..ડો. રાણાના કહેવાથી સાતેક વર્ષ પહેલા લીધેલો વિમો પ્રીમીયમ વધુ હોવાથી પગારનાં સાહીઠ ટકા કરાવી હતી ત્યાં મેડીકલ ચેક અપ અને અન્ય માહીતિ ભરી લાભો મેળવવા અરજી કરી. નોકરી તો ગઇ હતી અને તે બેકારી ગોવિંદને માનસિક તાણો આપતી વળી વારે વારે પડી જવાની ધાસ્તી અને સ્થિર વસ્તુ સહેજ પણ હલે તો ગોવિંદને પડી જવાની બીકથી રાધા તેને એકલો મુકતી નહોંતી. ગોવિંદને રાધાની આ વધુ સજાગતા અને કાળજીથી બહુ જ તકલીફો થતી. પરંતુ સમજતો પણ્ થયો કે આ તેનો પ્રેમ હતો..તેને કોઇ તકલીફ પડે અને જે થોડુ ઘણું સ્થિરતા તરફ જિંદગીનું વહેણ ચાલ્યુ છે તે રુંધાઇ જશે.
રાધાએ જગતને કહ્યું અમે તુ જ્યાં કામ કરે છે તે શહેરમાં આવી જઇએ કે જેથી ફરી થી સાથે રહેવાય.. જગત ને થોડીક રાહત થઇ મમ્મી સાથે હશે તો “બ્રાઉન બેગ”નાં ખાવામાંથી બચાશે..તેને આમેય અમેરીકન ખાવાનુ ભાવતુ નહોતું..જે દિવસે નોકરી ગૈ તે દિવસથી વિમાનું આરક્ષણ મળ્યુ અને જગતને ગામ રવાના થયા

વરસ ના હવે તો વરસો થવા લાગ્યા પણ કોઇ ચિન્હ નથી કે સારુ થાય. કોઇકે કહ્યું આયુર્વેદ કરો તે અજમાવ્યુ, કોઇકે કહ્યું હોમીયો પેથ કરો. તે પણ કર્યુ.. ગોવિંદ એકલો પડતો ત્યારે તેના શારીરિક પછાતપણાથી કૃધ્ધ થતો. તેને જાતે ગાડી લઇને ફરવા જવુ હોય. પણ જવાય નહી..તેના વર્તનમાં તોછડાપણુ આવી જાય ત્યારે રાધા ઉપર ઘણો ગુસ્સો કરે..રાધા તેને તે વખતે બબડતો છોડીને પ્રભુ સામે પ્રાર્થના કર્યા કરે..તેને વાળે સમજાવે પણ ફરીથી તે આવેગો આવે અને ઘર કલાકો માટે વ્યથાનું કાળુ ડીબાંગ વંટોળ બની જાય.
એક વખત નીરાની હાજરીમાં ગોવિંદ ઉત્પાતે ચઢ્યો..મારે હવે કોને માટે જીવવાનુ? મારી આ ઘરમાં જરુર શી? બીચારા થઇને મારે જીવવુ નથી.ત્યારે નીરા બોલી પપ્પા આપણે આપણા એકલા માટે તો જીવતા નથી હોતાને? તમે જે વેઠો છો તેના કરતા વધુ વેઠતા માણસોને જુઓ તો ખબર પડે કે સુખ શું છે? તમે આશા છોડી દીધી છે પણ મને ગળા સુધી આશા છે કે એક દિવસ તમારો આ વાઇરસ જતો રહેવાનો છે.ઘણી જીભા જોડી છતા ગોવિંદ ન જંપ્યો અને બધાની ના છતા જાતે ગાડી લઇને નીકળ્યો. નીરાને મમ્મીની દશા ઉપર ખુબ જ રડવું આવતુ હતુ.
રાધાએ તેને છાની રાખતા કહ્યું..એકલતા અને પરાધીનતા જો ગોવિંદે જન્મ થી જોઇ હોત તો આ ઉત્પાત ન હોત..પણ આ મળ્યા પછી છીનવાયેલી આઝાદી છેને તેથી..તેણે આશા છોડી દીધી છે મેં નહીં.મને ખબર છે જિંદગી બહુજ લાંબી છે અને તેને રડતા રડતા જીવો કે હસતા હસતા જીવવી તો પડે જ છે. તો પછી હસતા હસતા જ જીવવુ જોઇએને?
ગોવિંદ પાછો આવ્યો સાથે પોલીસને પણ લાવ્યો..તેનુ ડ્રાઇવર લાયસંસ જપ્ત થયુ હતુ…ગુસ્સાથી તેનો ચહેરો લાલ ઘુમ હતો..તે તેની જાત ઉપર ખુબ જ કૃધ્ધ હતો..નિષ્ફળતા અને બેકારી તેને ડંખતી હતી.રાધાએ તેને પાણી આપ્યુ અને નાના બાળકને છાવરતી હોય તેમ તેને પંપાળતી રહી..

નીરાને પપ્પા પર ખુબ જ ગુસ્સો આવતો હતો અને મમ્મીની બહુ જ દયા..તેની આંખમાંથી પણ પાણી સરતા હતા.
.
જગત અને નીરા તે દિવસે કશુ બોલ્યા નહીં પણ મનથી નક્કી કર્યું કે રોગીની વર્તણુંકને નહીં તેના રોગને મારો..દિવસનાં અઢાર કલાકમાં ગોવિંદને કદી એકલો નહી રાખવાનો અને કદી તેની માનસિક કુદશાને યાદ નહી કરાવવાનુ. હંમેશા આશાવંત રહે તેવુ વાતાવરણ રાખવાનુ..દવા ચાલુ દુઆ ચાલુ અને વહાલની વર્ષા ચાલુ..ચેસ, કોમ્પ્યુટર, કેરીઓકી ,ભજન અને ફેમીલી પાર્ટીઓ ચાલુ કરી..અને દરેક મિત્રોની મદદ થી તેનો રોગ ભયંકર નથી વાળી વાતો કહેવડાવા માંડી..ગોવિંદ મુળે હતો ટોળાનો માણસ અને તેને એકલો પાડી દીધો તે તો મોટી વ્યથા હતી..તે ખીલતો ગયો..

દિવાળીની વહેલી પરોઢે નીરા અને જગત પગે લાગવા આવ્યા ત્યારે પપ્પા અતિ પ્રસન્ન હતા.રાધાની આંખમાં હર્ષનાં આંસુ હતા..આઠ વર્ષની કપરી કસોટીને અંતે બધાની તપસ્યા ફળી હતી.
તે સ્વસ્થતાથી અરધો કલાક ગબડ્યા વિના અને રાધાનો હાથ ઝાલ્યા વિના ચાલ્યો હતો. રાધાએ કદી આશા છોડી નહોંતી અને તે આશાનો જ આ ચમત્કાર હતો
(સત્ય ઘટનાનાં આધારે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *