મર્હુમ જનાબ મહમંદ અલી પરમાર ને હ્યુસ્ટનનાં સીનીયર સીટીઝન ક્લબ માં સૌ ઓળખે. ગુજરાતી સાહિત્ય સરિતામાં પણ તેઓ રાઈડ મળે તો પધારે અને તેમના બુલંદ અવાજમાં તેમની રચનાઓ સંભળાવે. તેમના મહ્દ અંશે વિષયો પ્રભુ અને તેની રચનાઓ વિષે વતો વધુ કરતા અને ખાસ તો ધર્મનાં નામે ખેલાતા ઝનુની જંગ અને લોહીને તેઓ સતત વખોડતા.
તેમને જ્યારે ગુજરાતી સાહિત્ય સરિતા ના બ્લોગ ઉપર બ્લોગ ખોલ્યો ત્યારે મને ગમતા કાવ્ય ” સીમાડા વિનાનું વિશ્વ” નામ આપ્યુ ત્યારે તેઓનું સુચન હતું કે મને તો “આધ્યાત્મિક કાવ્યો” જેવુ સહજ નામ મુકવુ છે જે તે તેમની વેબ સાઈટ ( http://mohmadparmar.gujaratisahityasarita.org/ ) ઉપર મુક્યુ અને મારા આશ્ચર્યજનક આનંદ વચ્ચે તેઓ તેમના કાવ્યો નિયમીત રીતે મુકતા. તેમના કાવ્યો વિશે હું કંઇક સુચવુ તેવું તો મારુ ગજુ નથી પણ હા આ પુસ્તક પ્રસિધ્ધ થાય તે અંગે મેં સીરાઝભાઇને વાત કરી તો તેમનો અને ફાતિમા બેન નો પ્રતિભાવ આનંદ દાયક હતો અને તે તરત જ સ્વિકારાયો અને વેબ ઉપર મુકેલા કાવ્યો ઉપરાંત તેમના અન્ય કાવ્યોની ઝેરોક્ષ કરેલી પ્રત તેમણે મને આપી.
મહમંદ અલી પરમાર સાહેબને મેં એક સુફી સંતમાં હોય તે સર્વ જાગરુકતા ભરેલા અને પ્રભુ, ખુદા અને કોઇક પરમ તત્વ સાથે સીધી વાત કરતા અને તેમ કરતા તેમને થયેલા બધા અનુભવોને કાવ્ય દેહ આપતા જ્ઞાની સંત જરુર જણાતા. એમના કાવ્યોમાં છંદ બધ્ધતા કે કાફીયાની ચુસ્તતા અઓછી વધતી પહેલી નજરે કદાચ દેખાય પરંતુ જ્યારે જ્યારે તે કાવ્ય તેમણે તેમના મધુર અને બુલંદ અવાજમાં રજુ કરતા ત્યારે તે સ્વયં ગેય બની જતા.
“કર્મોની ફુલવાડી” નામના કાવ્યમાં તેઓ કહે છે
“અલી ” તુ પેરવી કરજે પ્રભુ પ્રેરીત વિચારોની
પ્રભુ પંથની લગન લાગી જશે કોઇને કોઇને
આ પ્રભુ પંથની લગની કોઇકને લગાડવાની તેમની ઇચ્છા તેમના દરેક કાવ્યોમાંએક યા બીજા પ્રકારે પડઘાઈ છે.”કુદરતનાં ઇશારા” નામના કાવ્યમાં તેઓ કહે છે
વિવિધ રંગો છે માનવ જાતીમાં ને નાત જાતોમાં
પરંતુ ધર્મનાં ગ્રંથોમાં તો એક જ છે પ્રેમધારા છે.
ધર્મનાં નામે થતા હત્યાકાંડો અને તે કરાવતા દરેક ધર્મના વડા તરફની તેમની નારાજગી કદાચ તેમના કાવ્યોના ઘણા બધા રંગોમાંનો એક ગાઢો રંગ છે. અને તેથી જ તેમણે લખ્યુ છે
વિવિધતા ભીન્નતા પ્યારી છે, અલ્લહને ઇશ્વરને
નથી પ્યારી તે માનવને લોહી તેથી, આ વહેલુ છે.
તેઓ તેમને ‘સુફી ” અને ઘણી વાર “અલી” કહેતા ને તેમની ભક્તિની મસ્તીમાં તેઓ એ લખેલું કે
કલમ પકડુંછું ત્યારે પ્રેરણા માંગુ છું ઇશ્વરની
સુફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે?
વળી એક કાવ્યમાં તેઓ રક્તમાં ખદબદતા ધર્મના વડાઓને શીખ આપતા કહે છે
મને દેખાય છે ઇન્સાન, ના કે હિંદુ શીખ કે મુસ્લીમ
હ્રદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો
મને જે વાત તેમના કાવ્યોમાં ગમે છે તે છ તેમનું આધ્યાત્મ દર્શન કે જે દરેક સુફી સંતો કે આધ્યાત્મક્ષેત્રે ઉન્નત આત્માઓ હોય છે તે સમદર્શનનું છતુ થતુ જ્ઞાન.જ્યાં કોઇ ટીકા નહીં, કડકાઈ નહીં કે નહીં કોઇ ધર્મ ઝનુન..ફક્ત પ્રેમ અને અંતરથી પરમ તત્વની પ્રાપ્તિની ઝંખના
નિરાળો પંથ છે આધ્યાત્મનો, યાત્રા નિરાળી છે
લગન લાગે છે એવી કે નથી ઢળવુ નીચે સંભવિ
તો ક્યાંક તેઓ લખે છે
મા કે માદર કે મધર થી મા તો બદલાતી નથી
અલ્લાહ ઇશ્વર એક છે ક્યાં વાત છે બદનામની
આજ વાત ફરીથી અન્ય કાવ્યમાં દેખાઇ
ઓ ઇશ્વર, ઓ પ્રભુ, કે અલ્લાહ ક્યા નામો લઇ પુજુ
ભુલી નામોનાં ઝઘડા, મેં ખરી ભક્તિ કરેલી છે.
મહમંદ અલી ભાઇને તેમના ચાહકો ઘણી વખત આજના યુગનાં નરસિંહ મહેતા કહેતા કારણ તેમના કાવ્યોમાં નરસિંહ મહેતાની જેમ અલખની ગેબી ગોખ દેખાતી.તેઓનાં કાવ્ય ‘પૃથ્વીનાં ફેરા’માં તેમણે લખ્યુ હતુ
સીમાડા ક્યાં છે સૃષ્ટિનાં અને પાયાને છત ક્યાં છે
નથી કોઇ કહી શકતું, ભલે વાતો બનાવે છે.
પોતાની જાતને નાસ્તિક માનતો કે ધર્મચુસ્ત માનતા દરેક જણને તેઓ કહેશે જ કે
લખે છે ત્યાં કોઇ આકાશમાં કર્મો કર્યા જે જે
ન રાખો ભ્રમ કોઇ કે ક્યાં સજા કોઇ થવાની છે
સંસારિક વળગણોમાં તેમને પ્રભુએ પાછલા સમયમાં એક કૃપા કરી હતી.. અને તેઓ હંગામી બધીર થતા ગયા હતા. જેને તેઓ કૃપા એટલા માટે તેઓ કહેતા કે તેમના પરમતત્વો સાથે વાતો કરતા આ મંદતા તેમને ધ્યાનમાં મદદ કરતી. મને ખબર છે જ્યારે જ્યારે તેમની વેબ સાઈટ ઉપર નવુ કાવ્ય ચઢે ત્યારે મને હરદમ નવાઈ લાગતી કે આટલી સમય ચુસ્તતા તો અમારી ગુજરાતી સાહિત્ય સરિતામાં કોઇની નથી ત્યારે તેઓ હસતા હસતા કહેતા
તુ સુકર્મો કરી લેજે “અલી’ આજે ને અત્યારે
જે સુકર્મો કરે છે તે અસલમાં “બ્રહ્મજ્ઞાની” છે
મહમંદ અલી પરમાર સાહેબનાં કાવ્યો વિશે ફાતિમાબેન અને શીરાઝભાઈનાં અભિપ્રાયો લગભગ એક જેવા હતા અને તે કે જ્યારે તેઓ લખતા હોય ત્યારે તેમના મુખ પર અજબ શાંતિ જોવામ ળે પણ અમને તેમના કાવ્યોમાં સમજણ ઓછી પડે..કદાચ તેઓ તેમની સમાધીમાં વિઘ્ન ન પડે તેનુ ધ્યાન રાખતા. મેં મારો પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ આધ્યાત્મિક કાવ્યો ફક્ત પ્રાર્થનાઓનો એક પ્રકાર છે જેમાં તેઓ જે પરમપિતા તેમના દ્વારા સમગ્ર માનવ જાતીનાં જાગરુક આત્માઓને વધુ જાગૃત થવામાટેનાં માર્ગદર્શક બની રહ્યા છે. આટલી નોંધ સાથે અત્રે અટકું કારણ કે તે ‘સુફી” ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ આ પુસ્તક દ્વારા ફરી આપણી વચ્ચે આવી રહ્યોછે તેમના આગમને આનંદોની દુદુંભી વગાડી અત્રે અટકુ.
વિજય શાહ