તારા પત્રનાં છેલ્લા વાક્યે મને વિચારતો કરી દીધો.
કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ની કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
આગળનાં પત્રો ફરીથી જોયા અને વાંચ્યુ તો તારી ક્રીપ્ટો ક્યુબની કલ્પના ફરી તાજી થઇ.તેં તે વખતે તે વાક્ય જે અનુસંધાને લખ્યુ હતુ તે અનુસંધાન અને આજનુ અનુસંધાન જુદુ હોવા છતા તે હકીકતે સત્ય લાગે છે. મારા શારીરીક કષ્ટ નાં સમયે હું વ્યથીત હોઉ તે સ્વાભાવીક હોવા છતા આશ્કાની માતૃત્વ ધારણ કરવાની વાતે તો અમને પણ પ્રફુલ્લીત કરી દીધા.એકલતાનાં સમયે જે ઘાતક શારિરીક દુ:ખ આવ્યુ તે દુ:ખ ફેડવા જાણે પ્રભુ એ આ પ્રપૌત્ર જોવાની ઘટના ન જન્માવી હોય? જિંદગી બોઝ બને તે પહેલા આગળ જીવવાનું એક બહાનુ આપ્યુ..દિકરીને માથે વહાલથી અમારા વતી હાથ ફેરવીને આશિર્વાદ આપજે અને ઓવારણા લેજે.. નૂતન જિંદગી જ્યારે જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે એવુ મનાતુ હોય છે કે હજી પ્રભુને માણસ ઉપરનો ભરોંસો ખુટ્યો નથી.

