મસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!
શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે. આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે.. સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.
પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે. શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!” અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-
વિજય શાહ્