સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન

એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,

અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.

અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય

સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ

ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે

અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.

અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે

પગ તળેથી ધરતી ફસકી પડે છે.

અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે

દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;

આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.

આ શું થયું? આ શું થઈ ગયું? એવી મૂઢતા

                                   અમને ઘેરી વળે છે.

ભગવાન,  તમે આ શું કર્યું? એમ વ્યાકુળતાથી અમે

                                   ચિત્કારી ઊઠીએ છીએ.

પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના

તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?

આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.

તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.

કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં

કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ

                                  ટકી રહેવાનાં નથી

તમે અમને ભાન કરાવ્યું કે

જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.

અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.

હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે

તમારે શરણે આવીએ છીએ.

આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો

અમને સમતા અને શાંતી આપો,

        ધીરજ અને શ્રદ્ધા આપો, કે

અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ

વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ

શોકને હૈયે વળગાડીને ન ફરીએ;

આંસુથી અંધારા બનેલા પથ પર

અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ

વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું

                            કેન્દ્ર શોધી કાઢીએ;

મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે

શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;

અને

પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,

ત્યારે એક અમૃતલોક એવો છે કે

જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી

એનું અમે દર્શન પામીએ, એ માટે

                  અમને બળ આપો

                       પ્રકાશ આપો

                        પ્રજ્ઞા આપો.

.

  આભાર રેખાબેન સીંઘલ www.axaypatra.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *