બીજી સપ્ટેમબર, 2006 ની પુરપાટ પવન અને ધોધમાર વરસાદી બપોરે 2:00 ના ટકોરે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ (વિશ્વ ગુજરાતી સંમેલન) માં 500 થી અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક નાનકડું પણ યાદગાર કવિ સંમેલન યોજાયું હતું. લગભગ 100 એક જેટલા શ્રોતાઓએ તો ખુરશીના અભાવે ઊભા ઊભા કાવ્ય, ગઝલોનો આસ્વાદ માણ્યો હતો.
ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકના સહાયક તંત્રી શ્રી હસમુખભાઈ બારોટે કાર્યક્રમનું સુંદર અને કુશળ સંચાલન કર્યું હતું. કવિ શ્રી અંકિત ત્રિવેદીએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. સર્વ કવિઓએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા તેમાંય શ્રી આદિલભાઈ મન્સૂરીની ગઝલોની વેધક રજૂઆત શ્રોતાઓના હૃદય અને પાંપણોને સ્પર્શી ગઈ હતી. અમેરિકન ગુજરાતી કાવ્ય જગતમાં કાવ્યોમાં નીતરતી આ બપોર લાંબા સમય સુધી શ્રોતાઓની સ્મૃતિના પાલવને ભીનો ભીનો રાખશે તેવી લાગણી બધાએ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે વર્લ્ડ કોન્ફરન્સ ખાતે યોજાયેલ આ કાવ્યસંમેલન નો એક ફોટોગ્રા, જેમાં ડાબેથી છે : શ્રી વિજય શાહ, શ્રી હસમુખ બારોટ, શ્રી ધીરુ પરીખ, શ્રી આદિલમન્સૂરી, શ્રી રોહિત પંડ્યા, શ્રી હરનિશ જાની, શ્રી રસિક મેઘાણી, શ્રી નટવર ગાંધી. બેઠેલાઓમાં : શ્રીમતી પન્ના નાયક, શ્રીમતી બિસ્મિલ મન્સૂરી, શ્રીમતી રશીદા દામાણી (તસ્વીર : અલી ઈમરાન મનસૂરી)http://mrugeshshah.wordpress.com/2006/09/05/worldconf-2006/