તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.
અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.
કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.