મને તુ આવે છે તે ગમે છે પણ આવ રીતે અર્ધા યુધ્ધમાં હથિયાર નાખી દઈને આવે તે ગમતુ નથી. સમયે મને એ શિખવ્યુ છે કે કઠીન સમય તો આવે અને જાય પણ સાચો માણસ બંને પરિસ્થિતિમાં ખરો ઉતરતો હોય છે અને તે ખરો ઉતરવા ખુબ જ ધીરજ જોઈએ છે. જાગૃતિ જોઈએ છે. અમેરિકન થવાના અંશનાં પ્રયત્નો તેની અમેરિકામાં સ્થિર થવાની એક પધ્ધતિ હોય અને તુ ભારતિયપણાને તારી જીવન પધ્ધતી માનતો હોય તો બન્ને અશ્વો તદ્દન વિરુધ્ધ દિશામાં જઈ રહ્યા છે.
તને તો અંબુકાકા ૮૩માં ત્યાં આવ્યા અને ૮૩ થી આજ દિન સુધી રહ્યા તેમની જીવન પધ્ધતિ જો અને સમજ. એમ્ણે એમના ભારતિયપણાને છોડ્યા વગર સંઘર્ષ રહિત જીવનનાં ૨૫ વર્ષ કેવી રીતે કાઢ્યા તે જરા જો. તેમના જીવનમાં વહુઓ દિકરી બનીને આવી હતી અને તેમનુ દરેક વર્તન સંહિષ્ણુ બનીને કાઢ્યુ.. જતિન કહે તેટલુ જ કરવાનુ અને ઘરમાં બને તેટલુ સંપથી રહેવાનુ. હર્ષલ મને પણ તે રીતે અમેરિકામાં રહેવાનુ કહેતો હતો પણ મને તે ન સદ્યુ અને હું અહી વેરાયેલા કુટુંબ સાથે છીન્ન ભીન્ન છું.જ્યારે તેઓ આટલુ સહન કર્યા પછી છ દિકરા અને તેમની ચોથી પેઢી સાથે ૩૭ માણસોનાં કુટુંબમાં આદર અને માનથી જીંદગી જીવે છેને?
પ્રશ્ન એ છે કે તમને મળેલી જુદી જુદી પરિસ્થિતિમાં તમે જે નિર્ણય લો તે પ્રમાણે પરિણામ મળે છે.
મને ડર છે કે તુ પણ મારી જેમ જ છીન્ન ભીન્ન થઈને રહેવાના રસ્તે જઈ રહ્યો છું. મારો દિકરો છુ તેથી કહુ છુ મારો નિર્ણય આજે ૨૫ વર્ષે મને સાચો નથી લાગતો તુ જરા વિચારજે અને પછી ધીરજ પુર્વક તારા અંતરનાં અવાજને અનુસરજે.
બહુ વિચારતા મને એવુ લાગે છે કે અમારા અહી હોવા સુધીજ તને અહી રહેવુ ગમશે.. અમે નહી હોઈએ ત્યારે તારુ મન પાછુ ખેંચાવાનું જ. આશ્કા અને અંશ બંનેના સંસારમાં તારા પૌત્ર અને પૌત્રીઓ હશેજ્..
દરેક દુઃખ અને સુખ તેમનો નિર્ધારીત સમય લઈને આવે છે.. જે જતો પણ રહેતો હોય છે.
દરેક ઘન્ઘોર કાળી રાતની પાછળ સુર્ય પણ ઉગતો જ હોય છે. મને ઘણુ વિચાર્યા પછી એવુ જ લાગે છે કે તુ આવ પણ અહી સ્થિરતા તને મળશે કે નહી તે જાણ્યા વિના ભમ ભુસ્કા ન કરીશ. ફરીથી કહુ તો અમે તો પીળુ પાન.. અમારે માટે એવુ કંઈ ન કરીશ કે તારા પાછલા વર્ષો અમારી જેમ અફસોસ કરીને તુ ના જીવે.
તારી બાને પણ્ તારી આવીજ કંઈક ચિંતા કોરે છે…