તારો પત્ર મળ્યો.
મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે? આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર્.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે
પ્રભુ એ “સ્પેર વ્હીલ” નથી “સ્ટીયરીંગ વ્હીલ” છે
ખુબ આસ્તિક અને મનને શાંતી આપે તેવો આ વિચાર છે.
કહે છે ભગવાનનુ એક સ્વરૂપ છે સર્જકનું. તેમણે આ દુનિયામાં ઘણુ સર્જન કર્યા પછી તેને સાચવવા અને સંભાળવા માટે તેની પ્રતિક્રૃતિ સમ માણસનુ સર્જન કર્યુ અને પ્રભુનાં સર્જનને સમજી શકે તે માટે તેનામાં હ્રદય મુક્યુ.. તેમના દરેકે દરેક જીવંત સર્જનો કરતા વિશિષ્ટ બનાવવા તેને મન આપ્યુ કે જેથી તે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ અને સૃષ્ટી સાચવી શકે..શયતાને તે મનમાં ‘હું’ નામનું એક વાઈરસ મુકી દીધુ જે યુવાવસ્થામાં રોગનાં લક્ષણો બતાવે. શયતાનને ખબર હતીકે પ્રભુનુ ત્યાર પછીનું સર્જન સ્ત્રી છે તેથી વાઈરસ ‘હું’ ના રોગો ત્યારે વકરે કે જ્યારે તે સ્ત્રીનાં સંપર્કમાં (પત્ની કે પ્રેયસી સ્વરુપે)આવે.
ભગવાન ની એન્ટી વાઈરસ સિસ્ટમે બધુ શોધી નાખ્યુ અને ઘણા સંરક્ષાણત્મક ઉપાયો યોજ્યા પણ તેઓ ઈવને નેસ્ત નાબુદ ન કરી શક્યા કારણ કે ભવિષ્યની પેઢી માટે માતા તેજ બનવાની હતી.
હવે સંતો એ સુચવેલા રસ્તા સમજ..સંતાન ને ૧ થી૫ વર્ષ સુધી ભરપુર પ્રેમ આપો,પાંચ વર્ષથી સોળ વર્ષ સુધી કડક રહી સંસ્કાર સિંચન ભણતર..અને ૨૫ વર્ષ સુધી વહેવારિક તાલિમો અને ત્યાર પછી લગ્ન…આ સમયે મા બાપ ૫૦થી ઉપર થયા તેથી ધીમે ધીમે તેમને વાન પ્રસ્થાશ્રમ… અને ૭૫ વર્ષે સંન્યાસ્તાશ્રમ…
હવે આજની પરિસ્થિતિ જો. સોળ વર્ષે શાળા પતે અને કોલેજમાં આવતાની સાથે ‘હું’ વાઈરસનો હુમલો થાય્.. જો મનભાવન સ્ત્રી પાત્ર મળી ગયુ અને તે પાત્રમાં પણ સંસ્કારિતાનો અભાવ હોય તો ‘હું’ વાઈરસને મોકળુ મેદાન મળે અને જે અવળ ગતિએ ચઢે તેને તો સમય જ બચાવે..આ સમયે પ્રભુ “સ્પેરવ્હીલ” બને અને અકસ્માતોની ભરમાર સર્જાય્.
આટલી લાંબી વાર્તાનો તારા માટેનો સાર એટલોજ કે તુ હવે પ્રભુને “સ્ટીયરીંગ વ્હીલ” સોંપ અને વણ જોઈતી ચિંતા ના કર.
તારા ગયા પછી મેં અને તારી બાએ પ્રભુને બધુ સમર્પણ કર્યુ છે અને તેના સુચવેલા રાહ પ્રમાણે જીવવા મથીયે છે.
શીખા અને તારી તબિયત સાચવજે
મોટાભાઈનાં આશિષ