પ્રિય સોહમ (૨૭)

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો તે દુ:ખી થશે અને તે કહે છે મારી જિંદગી મારી છે દુ:ખી હું થઇશ તો મારા કરમ. તમે તેનુ આટલુ બધુ કેમ માતમ મનાવો છો? આટલીજ કહાણી છે ને? તમે બંને તમારી રીતે સાચા છો અને ભવિષ્યમાં દુ:ખ આવશે વાળી વાત થી કોઇએ પણ આજ શું કામ બગાડવી?

સત્ય એ છે કે વિધાતાનુ શું લખાણ છે તે બે માથી એકે ય જણ જાણતુ નથી. શીખાને તુ સમજાવજે કે ભવિષ્યની તો રાજા રાવણનેય ખબર નહોંતી કે નહોંતી ખબર રઘુનંદન રામને પણ..વિધાતા બની બેઠેલી મનોવૃત્તિ જ ડર આપે છે અને રડાવે છે.આગલા પત્રોમાં લખ્યુ હતુ તેમ જ હવે સમય આવી ગયો છે કે જિંદગીનું સ્ટીયરીંગ વ્હીલ પ્રભુને સોંપો અને નિશ્ચિંત થઇ જીવન ને જીવો.

ચંદુ મહેસાનવીની એક ગજલ મને યાદ આવે છે

છે સલામત સ્વપ્ન કોનુ વિશ્વમાં?
ક્યાં સિકંદરની કશી છાયા મળે?

મને લાગે છે જ્યાં કશુ ડંખ્યુ ત્યાં આપણને પ્રભુને ફરિયાદો કરવાની કુટેવ પડી ગઇ છે.મારી જેમ જ હું જેટલાની વાતો સાંભળુ છું તે બધા પોતાની જાતને કોઇ જ ગુનો કર્યો હોય તેવુ સ્વિકારવાને બદલે ભગવાને મારી સાથે અન્યાય કર્યો તે વાતો ઉપર જ વધુ ભાર મુકતા હોય છે. ભાઇ મારા સિકંદર સમા નિર્ધારો કરવાથી સિકંદર નથી બનાતુ..સિકંદર જેવી સેના પાલવવી પડે, તેટલા સંકલ્પો પુરા પાડવા પડે.

અજયની વીડીયો કેસેટ જોતો હતો અને તે જોતા વિચાર આવ્યો કે નાનો જીવ કેટલો પરિશ્રમ કરે છે તે પોતાની વાત કહેવાનો..હસવાનો, રડવાનો, દોડવાનો, ચાલવાનો ખાવાનો અને ઉંઘવાનો. માથા ઉપર ખમતીધર બાપ અને મા બેઠા હોવા છતા તેને ક્યાં જંપ છે? આટલી બધી આવડતો કેળવ્યા પછી સ્કુલે જશે ભણશે, રમશે અને મોટો થશે અને જીવનની ઘણી દસી વીશી જોશે અને એક દિવસ આવશે જ્યારે મારી જેમ આ રંગમંચ પરથી વિદાય લેશે. મનમાં પ્રશ્ન ઉદભવે કે આ જીવન ચક્રનું આદી નથી અંત નથી તો કેમ વારંવાર જન્મવુ અને વારં વાર મરવુ?

આ પ્રશ્ન જ્યારે મનમાં ઉઠે છે ત્યારે એકજ વાત યાદ આવે કે માણસ પોતે એક કઠ પૂતલી છે પણ જાણે પોતે સુત્રધાર હોય તેમ વર્તવા એટલો બધો ટેવાઇ ગયો હોય છે કે તે સ્વિકારીજ નથી શકતો કે વિધાતા સુત્રધાર છે. હું મારી વાત તને સમજાવી શક્યો છું કે નહીં તે મને ખબર નથી પણ એટલો પ્રયત્ન જરૂર છે કે તુ સમજ તારાથી બન્યું તે બધુ તેઁ કર્યુ.. હવે એને એના ભાગ્ય ઉપર છોડ. તારી જિંદગી તારી છે તેને તારી રીતે તુ જીવ. અને આજ સત્ય દરેક્ને લાગુ પાડ. શીખા અને આશ્કાને પણ..

આવી ક્ષણોમાં જિંદગી જીવવાની વાત “બેફામ”નાં આ શેરમાં બહુ રુપાળી રીતે જોવા મળે છે.

છે એ પણ દુ:ખ કે નીકળવુ પડ્યું મારે ફૂલોમાંથી
 છે એ પણ સુખ કે ખુશબૂ જેમ ફેલાઇ રહ્યો છું

જે દુ:ખ છે તે સુખ પણ બની શકે છે જો જોવાનુ દ્રષ્ટીબીંદુ બદલીયે તો..ચાલ અહીં અટકું..
સમભાવથી રહેજે અને વેદનાઓનાં રણમાં પુષ્પ બનીની ખીલવાની લબ્ધિ કેળવજે..

મોટાભાઇનાં આશિષ

2 replies on “પ્રિય સોહમ (૨૭)”

  1. devika says:

    જીવનની સંધ્યાએ ઉભેલાં વડીલોના અનુભૂત શબ્દો અને સત્યમાં કેટલી રાહત અને આશ્વાસન છે ? ઘણું સરસ….

  2. Harnish Jani- says:

    વાર્તા પર્વાહ જડવાય રહે છે.સરસ બને છે.થોડી ઘટનાઅઓ વધુ ઉમેરાય તો વધુ જામે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *