ભાભો ભારમાં તો વહુ લાજમાં

 

bhabho bharma

અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા.

એક દિવસ અર્ચનાએ બાને કહ્યું પણ ખરુ – “બા આ સરલી ને તમે સાચવો. મારાથી થોડુંક ઘરનું કામ થાય પણ સવારના પહોરમાં નાહ્યા પછી દેવપુજા કર્યા વિના સરલી ને અડાય.. નાહી ન હોય. ઝાડો પેશાબ કરે… ફરીથી નહાવું ન પડે… સવારે તાપમાં તપતા બાપુજી ને એક વખત શાકભાજી લાવી આપવા નું કહ્યું. તો એક નાનકડો પ્રત્યાધાત. “અર્ચના મને નહી ફાવે નો મળ્યો.”

અવિનાશ તેનાં બીઝનેશ અને ટુરમાંથી નવરો થાય નહીં. અને જયારે તે હોય ત્યારે તો તેને કંઇ તકલીફ જ નહીં. પરંતુ બીજી પ્રસૃત્તિ વખતે અર્ચના બહુ જ ભાગી પડી. એ જે લાગણીઓ ધરાવતી હતી તેવી જ લાગણીઓ તેને પરત મળશે તેવી એની અપેક્ષામાં તે વખતે ખોટી પડી.  હોસ્પીટલ માં ટીફીન લાવતી વખતે બા એ સરલી બહું વિતાડે છે ની વાતો કરી. સુંઠ ઘી બદામના ભાવોમાં વધારાની વાત બાપુજી એ હસતા હસતા કહી ત્યારે અવિનાશે કહ્યું – “હશે ગમે તેટલો વધારો થાય પણ લાવ્યા વિના ચાલવાનું નથી” – અર્ચના એ જ ના પાડી દીધી. નાં કંઈ જરુર નથી. પહેલી પ્રસૃત્તિ વખતે માને ઘેર જે લાગણી અને હુંફથી એનાં શરીરની માવજત થતી હતી તેનો દસમો ભાગ પણ એને અવિનાશના કુટુંબમાં થતો ન દેખાયો

અવિનાશ ને ત્યાર પછી અર્ચનાની બદલાતી વર્તણુંકો વિશે એનાં બા બાપુજી એ જયારે વાત કરી ત્યારે એ સ્તબ્ધ બની ગયો. અર્ચના અમને કામ કરવાનું કહે છે. ના કરીયે તો ના ચાલે અમને તો એની બીક લાગે છે. તે દિવસે જયારે આ બાબત ચર્ચાતી હતી ત્યારે અર્ચના છંછેડાઈ ને બોલી “બાપુજી – હું તો સારી હતી – પણ મારી સારપને યોગ્ય થવા જેટલી સારપ તમે ન દાખવી – મેં વિનયથી અને પ્રેમથી તમને સમજાવ્યા પણ ખરા – પરંતુ મને નહી ફાવે – કહીને તમે ભારમાં ના રહ્યા. હવે – આવી પરિસ્થિતિ માં જયારે મારી તબિયત સારી નથી. મારા સંતાનો પણ મને એમનું ધ્યાન રાખુ તેમ ઈચ્છાતા હોય. ત્યારે મારી પાસેથી પહેલા જે હું કરતી હતી તે કર્યા કરુ તેમ ઇચ્છો તે કેવી રીતે શક્ય બને ?”

 અવિનાશ મનમાં વિચારતો હતો. જે અતિરેક પણું અર્ચનાએ કર્યું. તેજ અતિરેક પણું બા બાપુજી એ કર્યું છે. હવે બંને વહેવારીક બને તે શું જરુરી નથી ?

અવિનાશ નું મૌન સમજતા હોય તેમ બા બોલ્યા – તારી વાત સાચી છે. અર્ચના… ભાભો ભારમાં તો વહુ લાજમાં……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *