પૂ. મોટાભાઈ-૩૧

moon-venus_filtered.jpg

પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે.

ડેડ,

જ્યારે જ્યારે વીક મને “આઈ ડોન્ટ બીલીવ યુ” નુ ટીપણુ મારે છે ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે.જિંદગી એ મને પણ પેટ ભરીને સુખો આપ્યા છે પણ આ વીક કોઇનું માનતો નથી.હું તેને તમારી સાથે રહેવા ભારત મોકલુ છું. ભારતને તે તેના ફાધર લેંડ કહે છે.તમે શક્ય હોય તો થોડાક ભારતીય સંસ્કારો આપવાનો પ્રયત્ન કરજો. આશ્કાનો એજે કેટલો ગુણિયલ અને ડાહ્યો થયો છે બસ તેમ જ તેને બનાવવો હતો..પણ જિંદગી આખી પૈસા કમાવવાની દોડમાં હું અને હની એ ભુલી ગયા હતા કે બાળક ડે કેર કે આયા કરતા વધુ સારા સંસ્કાર મા બાપ પાસે કે દાદા દાદી પાસે થી શીખે છે.

હું જ્યારે મારુ બચપણ અને વીકનુ બચપણ સરખાવુ છું તો થાય છે અમે જે પામ્યા તે અમે આપી નથી શક્યા. જિંદગીમાં પૈસો સર્વત્ર નથી. તમે જે અમને આપવા મથતા હતા તે સંસ્કાર,નીતિ નિયમો અને ધર્મ માણસને પૈસાની આંધળી દોડમાં ખાડા ક્યાં છે તે બતાવે છે કે જેથી અંદર પડ્યા પછી માર ખાઈને શીખવાને બદલે માર ખાવાનો સમય જ ના આવે તે સમજાવે છે.

મને યાદ છે તમે પણ પૈસાની દોડમાં તો હતા જ પણ દાદીબા પાસેથી હું ઘણુ વાર્તાઓ અને વહેવાર જ્ઞાન શીખ્યો હતો. દાદાના બગીચામાં દાદા સાથે છોડવાઓને સાંજ પડે પાણી પાવુ મને ગમતું.. ખૈર હવે તો દાદા નથી, બા નથી. આશ્કા પણ ક્યારેક ક્યારેક ફોન ઉપર હેલો હાય કરે છે. તમારો ફોન આવે અને તે સમયે તો આનંદ માં હોઉં પણ પછી એક ઘેરી ઉદાસી મનમાં છવાઈ જાય છે. ભારતીય માન્યતાઓ પ્રમાણે તો આંતરડી કકળાવ્યાનો ગુનો છે. ખાસ તો મમ્મી માટે પણ..

હું અને હની નવરા પડીયે ત્યારે થાય કે અમારી કાચી ઉંમર અને તે સમયે અમને દોરનારા સૌમાં તમારા જેટલો સ્વત્વ ભાવ તો ક્યાંથી હોય્ આ સત્ય સમજતા બહુ વાર લાગી અને હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણીયે જેવો મારો વીકને ત્યાં મોકલવાનો પ્રયત્ન એટલુ જ સુચવે છે કે મા અને બાપને સંતાનો માટેનો વલવલાટ હરદમ રહે અને તેઓ જે ભવિષ્યનાં ભયો જોઈ અને સમજી સંતાનોને બચાવવા ઝઝુમે તે નિઃશંક પુરા મનનાં હોય.

જુના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં તમે લખેલા અને દાદાજીનાં બધા પત્રો જે તમે સ્કેન કરીને સાચવેલા તે જ્યારે મેં વાંચ્યા ત્યારે થયું કે દરેક પેઢી આગળ જતી જાય અને પાછળની પેઢીને ભુલતી જાય તેવો કેવો સ્વાર્થી ન્યાય? શું માતા પિતા ફક્ત વરસનાં ચાર જ દિવસ યાદ કરવાનો રીવાજ વહેવારીક કે તમે જેમ બા દાદાને રોજ જીવતા તીર્થ કહીને પ્રાતઃસ્મરણે પ્રભુ ભજનમાં રોજ યાદ કરતા હતા તે સંસ્કાર સાચા?

તમે જેમ દાદાજીને અહીં લાવવા મથતા હતા તેમ જ હું પણ તમને વિનંતી કરીશ કે પાછલા દિવસોમાં મનને હળવુ કરી અમારી સાથે તમે રહેવા આવો અને જિંદગીમાં કરેલી અમારી દરેક ભુલોને સુધારવાની તક આપો

અંશ અને હનીનાં પ્રણામ

@@@@@@@@@@@@@

આમ જનરેશન બદલાયું
ન બદલાયો જનરેશન ગેપ
જે નમ્યો તે પામ્યો હેત અનેક
સૌને મન પોતાનું સંતાન શ્રેષ્ઠ

One reply

  1. Valibhai Musa says:

    “પૂ. મોટાભાઈ” : એક પ્રતિભાવ – વલીભાઈ મુસા

    સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

    શ્રી વિજય શાહ લિખિત “પૂ. મોટાભાઈ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અગાઉ મેં સંક્ષિપ્તમાં અને અંગ્રેજીમાં ‘કોમેન્ટ’ લખી હોવા છતાં, આ ઉમદા કૃતિને સાચો ન્યાય અપાય તેવા ઉમદા હેતુથી થોડાક વિસ્તારથી અહીં ગુજરાતીમાં મારા પ્રતિભાવ વ્યક્ત કરવા પ્રેરાયો છું. વળી બ્લોગ જગતમાં લેખો ઉપરાંત ‘કોમેન્ટ્સ’ને એટલા જ રસ સાથે વાંચનારો એક બહોળો વર્ગ હોઈ તેમના સંતોષ માટે લખવામાં આવતા આ વિવેચનના થોડાક અતિવિસ્તારને સૌ સહી લેશે તેવી આશા રાખું છું.

    અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

    હવે આપણે ‘પૂ.મોટાભાઈ’ના કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે. વાંચન દરમિયાન સતત એમ લાગ્યા જ કરે છે કે એક જમાનામાં ‘સરસ્વતીચન્દ્ર’ વિષે જનમાનસ બની ગયું હતું કે આ કોઈ મુંબઈના શેઠિયાના કુટુંબની સાચી ઘટના છે, એવું કદાચ અહીં પણ હોય! સાહિત્ય વિવેચન જગતમાં આત્મલક્ષી અને પરલક્ષી સર્જન વિષે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી હોઈ અહીં તે અપ્રસ્તુત છે,એટલે આપણે મૂળ લક્ષ તરફ આગળ વધીએ.

    કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

    આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. પૂ. મહાત્મા ગાંધી પણ કહેતા કે જો કોઈ વાત હું કસ્તુરના ગળે ઊતારી શકું, તો સમજી લો કે આખા દેશ અને દુનિયાના ગળે એ વાત ઊતરી ગઈ. અહીં હકીકત એ છે કે ‘બા’ જુનવાણી વિચારસરણી ધરાવતાં હતાં અને આપમેળે બાપુની વાત સમજી શકતાં ન હતાં, બાપુને પ્રયત્નપૂર્વક સમજાવવું પડતું હતું. આમ કસ્તુરબા તેમના માટે નવીન વિચારની પારાશીશી સમાન હતાં. પણ અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

    પૂ. મોટાભાઈ (સાત)માં વચ્ચે હવામાનની વાત આવી તે વિષે કહું તો અમે આજે પણ પશ્ચિમના દેશોમાં રહેતા અમારા સ્નેહીજનની મજાક કરવાનું એમ કહીને ચૂકતા નથી કે ટીવી કે રેડિયો સમાચારમાં છેલ્લે હવામાન સમાચારની જેમ તેમના ફોન કે પત્રમાં ક્યાંક તો એ આવે જ, એમ જાણતા હોવા છતાંય કે ત્યાંના જીવનમાં એ જરૂરી છે. આ સામાન્ય વાત અહીં લખવા પાછળનો હેતુ માત્ર એટલો જ કે લેખકનું કેટલું સચોટ અને બારીક નિરીક્ષણ છે, ઘટનાના સ્થળ અને કાળને વર્ણવવામાં!

    સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે ‘પૂ. મોટાભાઈ’માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

    ‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

    છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

    વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

    સૌને વંદન/સલામસહ,
    વલીભાઈ મુસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *