પ્રિય સોહમ ( અઢાર) September 27, 2007
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a commentતારો પત્ર મળ્યો.
વેદના સભર દિવસો તો જાણે પુરા થયા અને ઠેલણ ગાડીથી જેમ તમે ચાલતા હતા તેવી ઠેલણ ગાડી (walker) હવે સાથીદાર થઇ ગઇ છે. એકલા પડ્યાના ફાયદા ઘણા છે તેવુ હું માનતો હતો પણ તે ખોટુ છે. એકલા પડવુ અને પછી અપંગ બનવુ તે તો શ્રાપ છે. કદીક એવુ થાય કે આ જીવન જે અર્થહીન રીતે જીવ્યા કરવાનો કોઇ અર્થ ખરો? ઘણી વખત અલ્બમો માં તમારા હસતા ચહેરાઓ જોઇ થાય કે આ તે મને શું સુજ્યુ કે જ્યારે દિકરાઓને ઘેર દિકરાઓ અને તેમના દિકરાઓને ત્યાં દિકરા આવે અને તેમનુ બચપણ જોવાનાં સમયે આ કેવી દસ હજાર માઇલની દુરી?
બીજી દ્રષ્ટીએ જોઉં તો થાય કે હું અહીં કેમ રહ્યો છું? હું ત્યાં તારી સાથે કેમ નથી? હર્ષલ અને તુ બંને જણા મોટાભાઇ આવો આવો કહીને થાકી ગયા અને આ એકલતાની સજા જાતે વહોરી. તારી બા કહે ભલે શની રવિ તો શની રવિ તમે લોકો જીવતા હો તે જીવન અહીના એકલવાયા જીવન કરતા સારુ. કોણ જાણે કેમ તે વાતો ત્યારે જચતી નહોંતી અને આ પગ ભાંગ્યા પછી કાં તુ અહીં આવ કા અમને ત્યાં લઇ જા વાળી વાતો નાના બાળકની રમકડા માટેની જીદ હોય તેમ વધતી જાય છે.
તુ વિચારતો હોઇશ આ વાતો અમે હમણા આશ્કા નાં લગ્ન પ્રસંગે ત્યાં હતા ત્યારે બોલ્યા હોત તો અમારી સાથે જ તમને લઇને આવ્યા હોત…પણ ભાઇ તે વખતે આ યાતના પણ નહોંતીને? ખૈર! વહેવારે જે થતુ હોય અને અન્નજળ હોય તો જ ધારેલુ બધુ સુખ સૌને મળતુ હોય છે ને? તારી બા જ્યારે જ્યારે તારી વાત કરે ત્યારે ત્યારે મનમાં એવુ થઇ જાય કે આપણે માણસ છીયે અને ક્યારેક ભોગ આપવા કરતા જે પોતાનુ છે તેને માણવાની ઇચ્છ થઇ જાય… અને દરેક વખતે મનમાંથી પ્રાર્થના નીકળે…
હે પ્રભુ!
મારા સંતાનો મારા એકલાનાં સંતાનો નથી
એ તમારા પણ સંતાનો છે.
એ સર્વનાં ભાગ્ય વિધાતા તમે છો
આપની સર્વ કૃપા અને કરુણા તેમના પર પણ ઉતરે
તેમને દુ:ખ ન પડે તેવુ સૌભાગ્ય ઇચ્છું
તેમને સદબુધ્ધીની આપ વર્ષા કરો
અને સૌનુ ભલુ કરો.
તારી બા આ પત્ર વાંચ્યા પછી ખુબ રડી.. કહે એ જ્યારે અહી હતો ત્યારે બધુ જ ભોગવ્યુ હવે આવુ લખી તેના જીવને ના દુભવો અને એતો કહે જ છેને તમે આવો, પણ ત્યાં ઘણુ બધુ છે જે અહી નથી. અહી જે છે તેમાનુ ઘણુ બધુ ત્યાં પણ નથી. સૌથી મોટો તફાવત છે ડોલરનો અને રુપિયાનો..અને તે તફાવત રહેવાનો જ..ખૈર! જેમ તુ તારા મનમાં ચાલતા વિચારો અમને કહે બસ તેમજ મને આવતા વિચારો તંને લખ્યા છે. કોઇ પણ ઉતાવળીયુ કદમ ના લઇશ અને જેમ નક્કી થયુ છે તેમ તારુ બંને બાળકોને ભણાવવાનુ કામ પુરુ થાય પછી યોગ્ય લાગે તો આવીશ…
મોટાભાઇનાં આશિષ
પુ. મોટાભાઇ ( અઢાર)
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a commentતમે બોલ્યા તે હુકમ સર આંખો ઉપર.. જો કે હું તો આજે પણ સજા ભોગવતો કેદી છું તેને જેવી મુક્તિની વાત આવે એટલે કેવો આનંદ થાય..એ આનંદની સાથે સાથે ફરીથી તમે પડ્યા તે વાતનુ દુ:ખ પણ ઘણું છે. જો કે હવે તમે સ્થિરતા પકડી રહ્યા છો તે તમારી ચાકરી કરતા દરેક્ની સામુહિક મહેનત છે. ડોક્ટરની દવાઓ અને માવજત બંને અસરકારક છે વધુ તો શું કહું?
તમે કહેતા હતા તેમ શીખા ઘરમાં બેસી રહેવાને બદલે ફરી થી સ્કુલ શરુ કરી છે.
આશ્કા તેના નવા ગામમાં નવા કામમાં વ્યસ્ત છે. કુંતલનાં ઘેર અત્યારે રીસેપ્શનની તૈયારી ચાલે છે.
અહીંનાં રીવાજો પ્રમાણે નવવધુને સાસરે સારી રીતે આવકારવાની વિધિ કરી.. કંકુ પગલે આશ્કા ઘરમાં રુમ ઝુમ રુમ ઝુમ રીતે દાખલ થઇ મોટા નણંદ બાએ ઓવારણા લીધા સાસુમા એ પાંચ પકવાન બનાવ્યા અને સારુ એવુ પાર્ટી માહોલ આગલા દિવસે ઉભુ કર્યુ.
રીસેપ્શનનાં દિવસે નવયુગલને સ્ટેજ ઉપર અમેરીકન નૃત્ય કરાવ્યું. મારો માહ્યલો આમતો કચવાતો હતો પણ શીખા પ્રફુલ્લિત હતી આશ્કા કોઇ પણ રીતે ઉણી નહોતી ઉતરી..આશિર્વચનો નો દોર શરુ થયો.. સૌએ પોત પોતાની રીતે શુભેચ્છાઓનાં પુષ્પો આપ્યા..કવિ મિત્ર વિશ્વદીપ બારડનાં કાવ્ય મેરી લાડલી નું શબ્દ સહ મેં પુનરાવર્તન કર્યુ ત્યારે આશ્કાને બહુ જ આનંદ થયો. મેં થૉડા ભાવોને ગુજરાતી દેહસ્વરૂપ આપ્યુ
દિકરી
તને આપ્યુ ઘણું છતા લાગે ઓછુ
તારા જીવનમાં ધારેલ સુખ મળે બધું
ભણતર ગણતર સંસ્કાર અને વિનયથી
કરજે દ્વીગુણીત તુજ સાજન ગૃહ વિવેકથી
કદાચ સંસારનો તાપ ક્યારેક નડે તો
અનુભવનો દરિયો બંને માબાપ તમારા
ન ડર, ન કંપ, ન ખચકાટ અનુભવતી
સત્ય, ધર્મ ને નિષ્ઠા કાયમ સહાય કરતા
તારા હાસ્યોથી બેવડાય હાસ્યો અમારા
તેવું જ બને તુજ રુદનોથી છતા
સંસારે ‘મારુ’ ત્યજી ‘અમારુ’ બનાવીશ
તો સહજતા થી જીવાશે આ જીવન સારુ!
જેમ ખુશી આનંદ થી ભર્યુ’તુ આપણું ઘર
તેમજ ભરજે હાસ્યોથી તારા સાજનનું ઘર.
તારા સુહાગનાં ચાંદ્લાને અમર પટો મળે
બાબુલ તેથી વધુ શું પ્રભુ પાસે પ્રાર્થી શકે
રીસેપ્શનમાં હાજર કેટલાય બાબુલોને કવિતા તેમની દિકરીઓની યાદ અપાવી ગઇ.સાથે આપ્રસંગોનાં ફોટા મોકલ્યા છે
તમારી તબિયત સાચવશો
સોહમનાં પ્રણામ્
પ્રમેય
Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 1 comment so farપ્રભુ શ્રધ્ધાથી તારો દિવો કરું
અને પાછો બીજીજ ક્ષણે તારા ન્યાયને
કેમ આમ કહી? દેકારાને પડકારા કરું
મને કદાચ ખબર જ નથી
તુ કર્તા ને હું શકટ તળે ચાલતો શ્વાન
માની બેસી મે કર્યુ સર્વને
ના થાય તો દોષ તને દેતો
કહી જેવી તારી મરજી
પ્રભુ ખબર નથી કેમ હું મથ્યા કરું
તારા હોવાનો પ્રમેય ઉકેલવા?
અને બીજી જ ક્ષણે ‘ઇતી સિધ્ધમ’ કહી
તારી ભક્તિ કરવા ચહું!
પ્રિય સોહમ ( સત્તર) September 20, 2007
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 1 comment so farતુ સુખરૂપ પહોંચી ગયાનો ફોન આવ્યા પછીની રાત્રે ફરી હું પડ્યો.. વહેલી સવારે થયેલી તકલીફ માં થોડીક રોકકળ અને ધમાલ થઇ ગઇ. ડોક્ટર દવાખાનુ અને હોસ્પીટલોનુ એ ગુંગળાવનારુ ચક્ર ત્રણેક દિવસ મને નડી ગયું. મનમાં બે વાતો ઉઠતી હતી.. આ કેવુ વિધાતાનું શુભ ફળ છે કે આશ્કાનાં લગ્ન સુખરૂપે ઉકલી ગયા સોહમ પાછો પહોંચી ગયો પછી મને આ વેદના આવી. અને બીજો વિચાર આવ્યો દેહનાં કેવા ભારે કર્મો છે કે આટલી ઢળતી ઉંમરે વેદના આવે છે.
તારો પત્ર આજે મળ્યો તારા ખાલી માળા ની કલ્પના મને તમે લોકો અમેરિકા જવા નીકળ્યા પછી જે અમને ખાલીપો જણાતો હતો તેની પ્રતિકૃતિ સમ છે. વિધાતા જે સ્વરુપે જે પણ આપે તે ક્યારેક હસતા તો ક્યારેક રોતા લેવુ જ પડે છે અને તેમાથી કોઇ બીજા થકી ભોગવટો કે સાંસારિક સમાધાનો ચાલતા નથી. વધુ તો શું કહું.
તારી બા તને બહુ યાદ કરે.. ખાસ તો ધર્મની બાબતોમાં તેને પૈસો ખરચવો હોય અને તે તુ ફટ્ટ કરીને આપી દે તે વાતનો તેને બહુ જ ગર્વ.. મારો સોહમ તમારી જેમ આટલો બધો વિચાર ન કરે..વળી શીખાતો સોહમની ધર્મની વાતોમાં દરેક દાન ને દસ ગણુ કરીને મુકે. મારો જીવ માનવ ધર્મ માં માને. જીવ દયામાં માને તેથી મને તે વધુ ગમે. જો કે તુ પણ તે બધુ કરે જ આખરે લોહીનાં સંસ્કારો અમારા બંને પાસેથી તને મળેલા તેથી બંને બાજુની સારી વાતો તુ બોલતો.. પણ્ હું અને તારી બા જાણીયે કે તુ બંને ને ખુશ રાખવા મથે અને તારુ મન અમને ઠરેલા જોવા સદા તલશે. તને પૈસાની છ્ત હોય કે અછત.. તુ વાત જણાય કે તેને ન્યાય કરે જ…
વેદનાનો ભાર વેઠવાની એક જાણે ટેવ પડી ગઇ હોય તેમ આ વેદનીય કર્મનો ભાર સહેતો જાઉ છું અને પ્રભુનો એક એવો ઉપકાર માનતો જાઉં છુ કે તુ હજી મને વધુ ને વધુ સમય આપતો જાય છે કે તારુ ભજન હજી વધુ કરી શકુ. અને સંતો તો કહે જ છે ને દુ:ખ જેટલુ આવે એટલુ એવુ મનાય કે ઉપરવાળો તેના સંસારમાં પડેલા ભક્ત નાં કાદવ દુર કરી તેને તૈયાર કરે છે તેની પાસે બોલાવવા અને તેથી જ તો કહ્યુ છે ને
સુખમાં સાંભરે સોની અને દુ:ખ માં સાંભરે રામ
સુખમાં સંભાર્યા હોત રામ તો દુ:ખ ક્યારેય ન હોત.
એક વાત કહુ ભૈલા!
તારી વનવાસની સજા અંશ ભણી રહે એટલે પુરી કરી દેજે..તારી બાનો વલોપાત ઘણી વખતે મને ધ્રુજાવી દે છે. કારણ મેં તો મારી લાગણીઓ તારા તરફની જે હતી તે ફરજનાં નામે દાટી દીધી પણ મારી સાથે તારી બાની લાગણીઓ ક્યારેક તારી તબિયતનાં નામે કે ઘરની વાતોમાં ક્યારેક સોહમ અહી હોત તો.. કહી નખાતા નિ:સાસાના સ્વરૂપે મને જોવા મળે છે અને મને ક્યારેક થઇ જાય છે કે મેં આ નિર્ણય લીધો તે ટુંકા ગાળાનો હોવો જોઇતો હતો..અને મને લાગે છે કે હવે અમને બંને ને તારી હાજરી હુંફ અને લાગણી ની જરુર છે. હવે અમને તારી સાર સંભાળ ની જરુર છે. શીખાની જરુર છે.
ચાલ તબિયત સાચવજે અને પત્ર લખતો રહેજે
મોટાભાઇનાં આશિષ
પુ. મોટાભાઇ ( સત્તર) September 19, 2007
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a commentસામાન્ય રીતે હવાઇ જહાજ્માં મને નિંદર ના આવે અને શીખા ઘસઘસાટ સુઇ જાય પણ આ વખતે અંશ સાથે હતો તેથી હું બહુ ચેન થી સુઇ ગયો.. આશ્કા નાં લગ્ન નો માનસિક થાક કે પછી અંશ સાથે છે તેની હાશ.. ગમે તે કારણ હોય પણ કન્યા દાનનું કુમકુમ ભાલે લાગ્યુ જાણે જિંદગીનાં કરવા લાયક કામોમાં એક કામ રંગે ચંગે પત્યુ તેની હાશ હતી
એરપોર્ટ પર ઉતર્યા પછીથી ફોન કરીયે ત્યારે ખબર પડે કે જે લેવા આવવાના છે તે ક્યાં છે? ઘણી વખત એવુ પણ સાંભળવા મળે કે હજી અર્ધો કલાક લાગશે..અને યાદ આવે દેશમાં તેડવા ફુલ અને હાર તોરા સાથે કુટુંબી અને મિત્રોનુ મોટું ટોળું હોય…ખેર! મનને ટપાર્યુ ભાઇ અહીં ડોલર લેવા આવ્યો છુ તો ડોલરની કિંમત તો આપવી જ પડેને? ખૈર અમારી અને અંશની બે કાર હતી અને અંશ તો સીધો જ નીકળી ગયો.. (more…)
સંવીત મન વાદળ September 18, 2007
Posted by vijayshah in : તમે અને મારું મન , add a commentનથી ખબર કે કેટલો અમારા માટે આદર
છતા રહે ભીની અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’ કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ
વર્ષ દરમ્યાન થયેલ મનદુઃખો મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.
વિવાદ September 8, 2007
Posted by vijayshah in : તમે અને મારું મન , add a commentસંધ્યાનો સુરજ આપી ગયો સંદેશો અનેરો
મુકીને જાઉ આજે તમને રાતનાં ભરોંસે..
આવીશ કાલે સવારે ફરી પૂરવ દિશમાંથી
તેના કામમાં કોઇ ભુલ નહિ..વિલંબ નહિ
કે નહિ કોઇ ન ઉગવાનું કોઇ બહાનુ
સાંજે આથમવાનુ ને નિત સવારે ઉગવાનુ
જીવી જવાય બસ આમ જ નિયમિત રીતે તો
સપ્તાહ મહીના વરસો અરે ભવો પણ..
ક્યાંય જતા રહે તે ન સમજાય્
પરમ પિતાનાં આપણે સૌ સંતાનો
તો જન્મ પછીનાં મૃત્યુ માટેનો રઘવાટ શા કાજે?
જન્મ્યું તે જાય વાત તે સનાતન
તો સમયની અનિશ્ચિતતાનો વિવાદ શા કાજે?
